...માટીનો પીંડો લઇ કોડિયું કંડારીશું...
અભ્યાસરૂપી વાટ મૂકી તેને પ્રગટાવીશું...
તેની જીવનજયાતને કાયમ દિપાવીશું...
સૂરજ તો ના સહી પરંતુ દિપક બનાવીશું...
.
સાર્વત્રિક પ્રાથમિક શિક્ષણના ધ્યેયને હાંસલ કરવા એકપણ બાળક શિક્ષણથી વંચિત ન રહે અને સો ટકા નામાંકન થાય તે માટે તા. ૮ જૂન ને ગુરૂવાર ના રોજ ૧પમાં કન્યા કેળવણી-શાળા પ્રવેશોત્સવના ત્રિદિવસીય અભિયાનનો પ્રારંભ પંચમહાલ જિલ્લાના અંતરિયાળ લઘુમતી ગામ બોરૂમાં ધોરણ-૧માં પ્રવેશપાત્ર ૧૮ કુમાર અને ૧૪ કન્યા મળી ૩૨ ભૂલકાંઓનો શાળા પ્રવેશ કરાવ્યો.
કોઇપણ સમાજ શિક્ષિત હશે તો સમાજ અને રાજ્યને વિકાસની નવી દિશા મળશે. શિક્ષણનું સ્તર ઉંચુ આવે તે માટે રાજ્ય સરકારે શાળામાં લાઇટ, પાણી, શૌચાલય, શાળાના ઓરડા જેવી માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવેલી છે. રાજ્યનું કોઇ બાળક શિક્ષણથી વંચિત ન રહે અને શાળામાં સો ટકા નામાંકન થાય તે માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે. તેમ શ્રી નારણભાઇ પટેલ એ બોરૂ ખાતે યોજાયેલા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ કાર્યક્રમમાં જણાવ્યું હતું.
મુખ્ય શિક્ષકશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, શિક્ષક એ શિલ્પકાર છે. બાળકના સારા ભવિષ્યના ઘડતર માટે શિક્ષકની ભૂમિકા ખુબ જ અગત્યની રહેલી છે. શિક્ષણમાં વિદ્યાદાન આપે તે મોટામાં મોટું દાન ગણાય છે. જે બાળક શિક્ષણક્ષેત્રે નબળુ હોય તેવા બાળક પ્રત્યે વિશેષ કાળજી રાખી શિક્ષકોને શિક્ષણ આપવા પણ અનુરોધ કર્યો હતો. તેમણે બાળક અધ્ધ વચ્ચેથી બાળક શાળા છોડી જાય નહી તે માટે દરેક વાલીઓએ અને ગામના અગ્રણીઓએ પણ ખાસ કાળજી લેવા વધુમાં ઉમેર્યું હતું.
મહાનુભાવોના હસ્તે ધોરણ-૧માં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને પુસ્તકોનો સેટ અને દફતર તેમજ આંગણવાડીમાં પ્રવેશપાત્ર બાળકોને રમકડાની કીટ આપી પ્રવેશ અપાયો હતો. ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દિપ પ્રાગટય તેમજ શાળા સંકુલમાં વૃક્ષારોપણ કરવામાં આવેલ હતું. ગત વર્ષમાં ધોરણ-૩ થી ૮માં પ્રથમ સ્થાને આવેલ વિદ્યાર્થીઓને મહાનુભાવોના હસ્તે પુસ્તક આપી સન્માનિત કરવામાં આવેલ હતાં. ઉપરાંત દાતાશ્રીઓને તથા ભૂતપૂર્વ વયોવૃધ્ધ વિદ્યાર્થીઓને પણ સન્માનિત કર્યા હતાં. શાળાના બાળકોએ સ્વાગત ગીત તેમજ યોગ નિદર્શનો રજૂ કર્યા હતાં. પાણી બચાવો, સ્વચ્છતા રાખો, વૃક્ષ બચાવો, બેટી બચાવો બેટી પઢાવો તથા જળ એ જ જીવન અંગે શાળાના વિદ્યાર્થીઓએ વક્તવ્યો રજૂ કર્યા હતાં.
આ પ્રસંગે ગામના સરપંચશ્રી સહિત ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.