રક્ષાબંધન : જાહલની ચિઠ્ઠી



આજે બધી બહેનોના વ્હાલકડા ભાઇઓ અને ભાઇઓની લાડકડી બહેનોને અમારા સર્વ તરફથી રક્ષાબંધનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ..!


          રક્ષાબંધન એટલે કાચા સૂતરનાં તાંતણે બંધાયેલ ભાઈ-બહેનનાં હેતનું પર્વ!! આમ તો, રક્ષાબંધનની વાત નીકળે એટલે ઘણા ઉદાહરણો પુરાણો અથવા નજીકના ઇતિહાસમાંથી મળી આવે. જેમકે, કુંતાજીએ ચક્રવ્યૂહમાં જતા અભિમન્યુને રાખડી બાંધી હતી. પુરાણોમાં ઉલ્લેખ છે કે ઇન્દ્રાણીએ પણ હારેલ ઇન્દ્ર દૈત્યો પર વિજય મેળવી શેકે એ માટે રક્ષાબંધનનું વ્રત કર્યું હતું. લક્ષ્મીજીએ પણ બલિના હાથે રાખડી બાંધી ભગવાન વિષ્ણુને છોડાવ્યા હતા. રાજપૂત રાણી કર્મવતીએ બાદશાહ હૂમાયુને રાખડી મોકલાવી ભાઈ બનાવ્યો હતો અને રાજ્યની રક્ષા કરી હતી.
…પણ આજે રક્ષાબંધનના દિવસે ચાલો જાણીએ એક આવી જ ભાઈ-બહેનનાં અદભૂત પ્રેમની ન ચર્ચાયેલી કથા –
          ગુજરાતનાં સોલંકીવંશના રાજા દુર્લભસેનની રાણીઓ કાઠિયાવાડની જાત્રાએ નીકળે છે. દામોકુંડમાં સ્નાન કરવાનો વેરો જૂનાગઢના રાજવી રા’ડિયાસે માંગતા રાણીઓને માઠું લાગ્યું અને સ્નાન કર્યા વિના પાટણ પાછી ફરી. અપમાનનો બદલો લેવા દુર્લભસેને જૂનાગઢ પર ચડાઈ કરી, પણ દિવસો સુધી મથવા છતાં ગઢનો કાંગરો ય ખેરવી શક્યો નહીં. છેવટે એક ચારણને જૂનાગઢના મહેલમાં રા’ નું માથું દાનમાં માગી લેવા મોકલ્યો. રા’ એ હરફ પણ ઉચ્ચાર્યો નહિ અને કવિરાજને માથું ઉતારી આપ્યું.આમ, સોલંકીઓએ કપટથી રા’ડિયાસને મારી જૂનાગઢ હાથ કર્યું, જેથી રા’ની તમામ રાણીઓએ આત્મવિલોપન કર્યું. તેમાંની સોમલદે નામની રાણી મરતાં પહેલા પોતાનાં નાના બાળકને એક વડારણ બાઈને સોંપતી ગઈ. આ બાળક એ જ નવઘણ – રા’ ના કુળનો છેલ્લો વંશજ. પેલી વડારણ બાઈ જેમતેમ કરીને બાળ નવઘણને બોડીદર ગામના દેવાયત આહીર પાસે પહોંચાડે છે. દેવાયતને નવઘણની એ જ ઉંમરનાં બે સંતાન છે – દીકરો વાહણ અને દીકરી જાહલ. સોલંકીઓનો કેર હોવાં છતાં બહાદુર આહીર દંપતિ નવઘણને સ્વીકારે છે. હવે બે ને બદલે ત્રણ સંતાનો દેવાયતના ઘરમાં ઉછરે છે. સમય પસાર થતો જાય છે. ત્રણેય બાળકો માનો ખોળો મૂકી ફળીમાં રમતા થાય છે. એવે વખતે કોઈ જાણભેદુ સોલંકીઓના થાણેદારના કાન ભંભેરે છે અને વાત છતી થાય છે. ગામના ચોકમાં તમામ આહીરોને એકઠા કરી સોલંકીઓનો થાણેદાર એક-એકને પૂછે છે કે “સાચે જ દેવાયતના ઘરમાં રાજનો દુશ્મન ઉછરી રહ્યો છે?”. વફાદર આહીરો મગનું નામ મરી પાડતા નથી. આખરે દેવાયતને બોલાવી થાણેદાર એને જ પૂછે છે, અને સૌનાં આશ્ચર્ય વચ્ચે દેવાયત આ વાતની પુષ્ટિ કરતાં કહે છે –  
“મારે તો રાજભક્તિ દેખાડવી હતી. ડિયાસનો દીકરો મારે ઘરે ઊઝરતો નથી. પણ કેદમાં રાખેલ છે. એ મોટો થાત એટલુ હું મારી જાણે જ દોરીને એની ગરદન સોળંકીયુંને સોંપી દેત. હું સોળંકીઓનો લૂણહરામી નથી.”
પછી તો ઘરે પત્ની પર કાગળ લખી દેવાયત નવઘણને તેડાવે છે. કાગળમાં લખે છે – “રા’ રાખીને વાત કરજે”.
“રા’ રાખીને વાત કરજે” – સોરઠી ભાષાના આ કોયડાને ગુજરાતનાં સોલંકીઓ પકડી ન શક્યા, પણ દેવાયતની પત્ની બધું જ સમજી ગઈ. હૈયા પર પથ્થર મૂકીને એણે પેટના દીકરા વાહણને તૈયાર કરીને મોકલ્યો. નાનકડા વાહણને જોતાં જ આખો આહીર ડાયરો દેવાયતની સ્વામી-ભક્તિ પર ઓવારી ગયો. ખુદ બાપના હાથે દીકરાની સોલંકીઓએ કતલ કરાવી. મર્યો છે એ નવઘણ જ છે એ વાતની ખરાઈ કરવા, તેમેણે મૃત દીકરાની આંખો પર ઉઘાડા પગે આહીરાણીને ચાલવાની ફરજ પાડી! પતિ-પત્નીએ હસતા મોંએ પુત્રનું બલિદાન આપી રા’ ના કુળદીપકને જલતો રાખ્યો!
વરસો વીત્યાં. જાહલ અને નવઘણ યુવાન થયાં. વૃદ્ધ થયેલાં દેવાયતે દીકરી જાહલનાં લગ્ન લીધાં. નવઘણને પણ તમામ હકીકતથી વાકેફ કર્યો. તમામ આહીરોને દેવાયતે ભેગા કર્યા અને જૂનાગઢ પર ચડાઈ કરી. સોલંકીરાજનું પતન થયુ અને રા’નવઘણ જૂનાગઢની ગાદીએ બેઠો. ધામધૂમથી બહેન જાહલને પરણાવી. નવઘણે બહેનને માંગવા કહ્યું ત્યારે જાહલે એટલું જ કહ્યું કે “સમય આવ્યે કાપડું માગી લઈશ.”
સમય પસાર થતો જાય છે. કાઠિયાવાડમાં કારમો દુકાળ પડે છે. જાહલ પોતાના પતિ સાથે સ્થળાંતર કરીને સિંધ પ્રાંત તરફ જાય છે. સિંધનો સૂબો હમીર સૂમરો એકવાર જાહલને જોઈ જાય છે. એના રૂપ પર મોહી પડે છે અને તેને તાબે થવાનો આદેશ કરે છે. લાચાર જાહલ ૩ મહિનાનો સમય માંગી લઈને તરત પોતાના ભાઈ રા’નવઘણ પર ચિઠ્ઠી લખી પતિને જૂનાગઢ દોડાવે છે. રાજકાજમાં ડૂબેલ નવઘણને બહેન ક્યાં છે એનો ખ્યાલ નથી. લાંબા રઝળપાટને અંતે તે જૂનાગઢ રાજમહેલમાં પહોંચી કાગળ રા’નવઘણને વંચાવે છે. કાઠિયાવાડનાં ઇતિહાસમાં આ કાગળ “જાહલની ચિઠ્ઠી” તરીકે પ્રખ્યાત છે.
ફિલ્મ “રા’નવઘણ (૧૯૭૬)” માંથી લીધેલ આ પ્રસંગનું ચિત્રાંકન અહીં જોઈ શકાશે..

સિંધ મહિપ દુઃશાસન કેરી મુજ પર મીટ મંડાઈ,
પાંચાળી જેમ આજ પુકારું ચીર પૂરો જદુરાઈ
હું ન-બાપી અરેરે ન-ભાઈ વીરા મારે તુજ થી સાચી સગાઈ…(૨)
ભીતર લાગ્યા ઘાવ સંતાડું, રૂપ સંતાડ્યા ન જાય,
ફૂલની માથે સાપ ફૂંફાડે, લાગી અંગે-અંગ લ્હાય રે,
હું ન-બાપી અરેરે ન-ભાઈ વીરા મારે તુજ થી સાચી સગાઈ…(૨)
કોડભર્યા મારા વીરને કાંધે તેગ સૂબાની તોળાય,
ડુંગર સમો દેવાત ડગ્યો નહિં, થડકો ન માને થાય રે,
હું ન-બાપી અરેરે ન-ભાઈ વીરા મારે તુજ થી સાચી સગાઈ…(૨)
બાપના ગુણ ને ભોગ બાંધવનો, દૂધડિયાની સગાઈ,
કાપડા કેરો બોલ દીધોતો માંડવડાની માંય રે,
હું ન-બાપી અરેરે ન-ભાઈ વીરા મારે તુજ થી સાચી સગાઈ…(૨)
નવઘણ મારા એ બદલાને ભૂલી જજે ભલે ભાઈ,
જે ધરતીમાં જનમ્યા એના, સગપણ નો વિસરાય રે,
હું ન-બાપી અરેરે ન-ભાઈ વીરા મારે તુજ થી સાચી સગાઈ…(૨)
સાબદો થા વીર વાત સુણી, મારા જુગ સમા દિન જાય,
અવધિ વિત્યા પછી કાપડું તારું, બેનનું ખાપણ થાય રે,
હું ન-બાપી અરેરે ન-ભાઈ વીરા મારે તુજ થી સાચી સગાઈ…(૨)
આશા ભોંસલેએ ગીતને કંઠ આપ્યો છે. શ્રીઅવિનાશ વ્યાસે હ્રદયદ્રાવક શબ્દોથી ગીતને શણગાર્યું છે. ગીતમાં જાહલ નવઘણને બાળપણમાં સાથે ઉછર્યા, રમ્યાં, મીઠા ઝઘડા કર્યા તેની યાદ અપાવે છે. લગ્નમંડપમાં આપેલ કાપડાનું વચન યાદ અપાવે છે અને સમયસર સિંધ પહોંચવા તાકીદ કરે છે.
પછીની વાત ટૂકાણમાં જોઈએ તો – બહેનનાં કાગળથી રા’નું હૈયું ભીંજાય છે. તે ફોજને સાબદી કરી સિંધ પર ચડાઈ કરે છે. જૂનાગઢથી સિધ (હાલ પાકિસ્તાનમાં) તરફ જમીનમાર્ગે કૂચ કરવામાં ઘણો જ સમય લાગે તેમ છે કારણકે વચ્ચે દરિયો છે. કાંઠે-કાંઠે ચાલીને સિંધ સુધી પહોંચે ત્યાં સુધી બહેન જાહલને મળેલ અવધિનો સમય ચૂકી જવાય તેમ છે. આ વખતે માતાજીની કૃપાથી આખી સેનાને દરિયો મારગ આપે છે અને સમયસર સિંધ પહોંચી રા’નવઘણ બહેન જાહલને છોડાવે છે.

Featured post

પિતા ના આશીર્વાદ

Believe it or Not ખંભાતના વાણિયાની આ વાત છે. એ મરવા પડ્યો ત્યારે પોતાના એકના એક દીકરા ધર્મપાળને બોલાવી તેણે કહ્યું: ‘બેટા, મારી પાસે કંઈ ધનમ...

Most Likes