ઇઝરાયલી સેના પાસેથી શીખવા જેવો પાઠ
ઘટના નાનકડી હતી. ૧૯૮૭ની ૮મી ડિસેમ્બરે ગાઝામાં એક ઇઝરાયલી ડ્રાઈવરે વાહન પર અંકુશ ગુમાવતા થયેલા અકસ્માતમાં ચાર પેલેસ્ટાઈની માર્યા ગયા. આ ઘટનાને લીધે પેલેસ્ટાઈનીઓમાં એટલો રોષ ફાટી નીકળ્યો કે વિદ્રોહની એ આગ પછી તો પૂરાં પાંચ વર્ષ અને નવ મહિના સુધી ભભૂકતી રહી. પ્રથમ ઇન્તિફાદા (પહેલો બળવો) તરીકે ઓળખાયેલી એ લડત દરમિયાન લાખો પેલેસ્ટાઈનીઓ સડકો પર ઉતરીને શસ્ત્રોના નામે ફક્ત પથ્થર અને પેટ્રોલ બોમ્બના જોરે ઇઝરાયલી સેના સામે ભારે ઝઝૂમ્યા. પેલેસ્ટાઈનીઓની આ અણધારી અને પ્રચંડ લડત ઇઝરાયલ માટે તો ઠીક, ખુદ પેલેસ્ટાઈની નેતા યાસર અરાફત માટે પણ આશ્ચર્યજનક હતી.
પેલેસ્ટાઈનીઓના એ પહેલા બળવા (૧૯૮૯-૧૯૯૩)ના આરંભે રાજકીય નેતૃત્વ તરફથી ઇઝરાયલી ડિફેન્સ ફોર્સ (આઈડીએફ) પાસેની અપેક્ષા સ્પષ્ટ હતીઃ શક્ય તેટલી ત્વરાથી શાંતિ સ્થાપો, જેથી થાળે પડેલી પરિસ્થિતિમાં વાટાઘાટ થાય તો ઇઝરાયલનો હાથ ઉપર રહે.
આઈડીએફ આમ પણ વિજળીવેગે પૂરા જોશથી ત્રાટકીને ઝડપી જીત મેળવવામાં માહેર ગણાતી સેના હતી. એ જ નીતિને અનુસરીને લશ્કરી વડા યિત્ઝાક રાબિને ‘હાડકાં તોડો’નો આદેશ આપ્યો. બળવાખોરનાં માથાં ન ફૂટે (દેખાવકાર મરી ન જાય) એનું ધ્યાન રાખીને ફક્ત હાથ અને પગના હાડકાં તોડવાની આઈડીએફની આ આકરી ઝુંબેશથી બળવાખોરો શરૂઆતમાં ડર્યા તો ખરા, પણ થોડા જ સમયમાં ડર કરતાં ગુસ્સો વધી જતાં પેલેસ્ટાઈનીઓ લડાયક નીતિને વળગી રહ્યા.
હાડકાં તોડવા ઉપરાંત, મુખ્ય બળવાખોરોને પકડીપકડીને દૂર ક્યાંક મોકલી દેવા, અશાંત વિસ્તારોમાં મહિનાઓના મહિના સુધી કર્ફ્યુ લાદવો, મોટા પાયે ધરપકડો કરવી (ઇન્તિફાદાના પ્રથમ વર્ષમાં કુલ ૧૮,૦૦૦ ધરપકડો થયેલી)... આવાં અનેક પગલાં લઈને આઈડીએફે ગાઝામાં રાબેતા મુજબની પરિસ્થિતિ સ્થાપવાની કોશિશ તો બહુ કરી, પણ શાંતિ સ્થપાઈ નહીં. ઉલટાનું, પેલેસ્ટાઈનીઓનો રોષ વધુ ભડક્યો. નિઃશસ્ત્ર યુવાનો સામે ઊભેલા સશસ્ત્ર ઇઝરાયલી સૈનિકોની તથા મૃતકોની અંતિમવિધિમાં રડતી-કકળતી મહિલાઓની તસવીરો દુનિયાભરમાં છપાતી રહી તેને કારણે ઇઝરાયલી સેનાની ભારે બદનામી થઈ અને યિત્ઝાક રાબિનને વિશ્વસ્તરે એક નવું ઉપનામ મળ્યું, ‘હાડકાં તોડનાર.’
આરંભિક નિષ્ફળતા બાદ આઈડીએફે પોતાની ભૂલો સુધારી. એણે રણનીતિ બદલી. બળવાખોરોનાં હાડકાં તોડવાને બદલે પાણી, કાંકરા તથા નવા પ્રકારની પ્લાસ્ટિક બુલેટ્સનો ઉપયોગ આઈડીએફે વધાર્યો, મિડિયાની તાકાત પિછાણીને આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની બદનામી ન થાય તેનું ધ્યાન રાખવાની નીતિ અપનાવી તથા બળપ્રયોગ વધારવાને બદલે પોતાનું જાસૂસી માળખું વધુ સાબૂત અને સક્ષમ બનાવીને બળવાખોરી પર અંકુશ જમાવવા પર ધ્યાન આપ્યું.
આ નવી નીતિ કારગત નિવડી. ધીમે ધીમે શાંતિ સ્થપાઈ. બળવાખોરી સામે ઝઝૂમવાના અનુભવોમાંથી ઇઝરાયલી સેના જે સૌથી મહત્ત્વનો પાઠ શીખી તે આ હતોઃ ચાહે ગમે તેટલી ઉશ્કેરણી કરવામાં આવે તો પણ આપણે (સેનાએ) આપણા સિદ્ધાંતો અને મૂલ્યોને વળગી રહેવું. ડાબેરી રાજકારણીઓ પરિસ્થિતિ વકરાવવાના આરોપો મૂકે અને જમણેરી રાજકારણીઓ ઢીલી નીતિની ટીકા કરે તો પણ બહુ આકરા ન બનવું. માનવીની ગરિમા, શસ્ત્રની પવિત્રતા તથા માનવીની જિંદગી પ્રત્યે આદર જાળવી રાખવાના પાઠ ઇઝરાયલી સેનાના પ્રત્યેક સૈનિકના મન તથા હૃદયમાં ઊંડા કોતરવાની નીતિ ઇઝરાયલી સેનાએ અપનાવી. સરવાળે, આ સેનાની છાપ આજે એટલી ઉજળી છે કે બ્રિટિશ સેનાના જનરલ રિચર્ડ કેમ્પે આઈડીએફને ‘વિશ્વની સૌથી નૈતિક સેના’ તરીકે ઓળખાવી છે.
ઇઝરાયલી સેનાના વડા જનરલ ગૅદી આઈઝનકોટે ૨૦૧૬ના ફેબ્રુઆરી મહિનામાં વિદ્યાર્થીઓ સાથેના સંવાદમાં કહ્યું, ‘હાથમાં કાતર લઈને ઊભેલી (લડી રહેલી) છોકરીની છાતીમાં બંદુકના ખાનામાંની તમામ ગોળીઓ ધરબી દેવાની નીતિ અમે નથી અપનાવતા... ‘જે કોઈ મારવા આવે એને પહેલાં તો મારી જ નાખો’ એવાં સૂત્રો અમે ન ઉચ્ચારી શકીએ.’
સેનાના વડાના આવા ‘ઢીલા’ વિધાનો બદલ જમણેરી નેતાઓએ તેમની આકરી ઝાટકણી કાઢી, પણ સિદ્ધાંતો અને મૂલ્યોને વળગી રહેવાના મામલે સેના એટલી દૃઢનિશ્ચયી છે કે માર્ચ, ૨૦૧૬માં ઇઝરાયલી સાર્જન્ટ એલોર અઝારિયાએ ધરતી પર પડેલા નિઃશસ્ત્ર, ઘાયલ ઉગ્રવાદીના માથામાં ગોળી મારી ત્યારે સેનાએ આ સાર્જન્ટ પર માનવવધનો ગુનો દાખલ કર્યો. સેનાની દલીલ એ હતી કે ‘સાર્જન્ટનું આ કૃત્ય સેનાના મૂલ્યોનો ભંગ કરનારું હતું’. દેશની ૭૦ ટકા પ્રજા સાર્જન્ટ અઝારિયાની પડખે હતી. ઇઝારયલના એક જમણેરી નેતાએ ફેસબુક પર લખ્યું, ‘જે મરવાને જ લાયક હતો એવા એક ઉગ્રવાદીને મારવા બદલ આપણા એક જવાનને હાથકડી પહેરાવીને તેની સાથે ગુનેગાર જેવું વર્તન કરવામાં આવે છે.’ ખુદ વડા પ્રધાને પણ સાર્જન્ટ અઝારિયાને માફી આપવા વિનંતી કરી. છતાં, લશ્કરી અદાલતે અઝારિયાને ગુનેગાર ઠેરવીને અઢાર મહિનાની કેદ ફટકારી. આ સજા પણ ઓછી લાગતાં, સેનાના પ્રોસિક્યુટરે વધુ આકરી સજા માટે અપીલ કરી.
તો, મૂળ મુદ્દો આ છેઃ બળવાખોરો સામે લડવાના બહોળા અનુભવોના આધારે ઇઝરાયલી સેના એક સબક શીખી કે ચાહે કુછ ભી હો જાયે, સિદ્ધાંતો અને મૂલ્યોને વળગી રહેવું અને આંતરિક બળવાખોરી સાથે પનારો પાડતી વખતે જેવા સાથે તેવા ન બનવું.
આ જ નીતિ કાશ્મીરમાં ભારતીય સેનાએ અપનાવવી જોઈએ એવી સલાહ આપવાની મારી લાયકાત નથી, પરંતુ ભારતીય સેનાના નોર્થન કમાન્ડના નિવૃત્ત જનરલ ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ ડી. એસ. હૂડાએ બળવાખોરી સામે લડીને ઘડાયેલા ઇઝરાયલી સૈન્ય વિશે જાણીતા અંગ્રેજી દૈનિકમાં એક રસપ્રદ લેખ લખીને અંતે તારણરૂપે નોંધ્યું છે કે, ‘આમાંથી વાચક પોતાની રીતે પોતાનું તારણ તારવી શકે છે, પણ (આખી વાતમાંથી) બે મુદ્દા નોંધવા જેવા છે. પહેલો એ કે આતંરિક સંઘર્ષ સાથે પનારો પાડતી વખતે ઉગ્ર પ્રતિભાવની રણનીતિ એક હદથી વધુ કારગત નથી નીવડતી. અને બીજો મુદ્દો એ કે કાશ્મીરનો મામલો ઉકેલાય એ બેશક જરૂરી છે, પરંતુ રાષ્ટ્ર માટે સૈન્યનું ચારિત્ર્ય ઘણું વધારે મહત્ત્વનું અને મૂલ્યવાન છે. લોકશાહીમાં (સૈન્ય પર) રાજકીય દબાણો તો આવ્યા જ કરશે અને પ્રજાના અભિપ્રાયનું દબાણ પણ રહેવાનું જ, પરંતુ સૈન્યનું ચારિત્ર્ય તો સિદ્ધાંતો અને મૂલ્યના પાયા પર જ ઊભેલું રહેવું જોઈએ. કાશ્મીરમાં સ્થિતિ જેમ વધુ કથળશે તેમ આ બાબત પર વધુ ફોકસ કરવાની જરૂરત ઊભી થશે.’
ટૂંકમાં, હૂડાસાહેબનું કહેવું છે કે પનારો જ્યારે દેશની અંદરના જ બળવાખોરો સામે પાડવાનો હોય ત્યારે હિંસાનો સામનો કરવાના મામલે સેના જો રાજકીય દબાણ અને લોકલાગણીના જુવાળને અવગણીને ‘મારો, કાપો, હાડકાં તોડો’ની નીતિને બદલે માનવ ગરિમા, શસ્ત્રની પવિત્રતા અને માનવજીવનને આદર આપવાનાં મૂલ્યોને વળગી રહે તો સંઘર્ષનો ઉકેલ વધુ સારી રીતે લાવી શકાય.
વાત વિચારવા જેવી ખરી.